દાહોદ, તા.20/11/2025
ગુજરાતના વન્યજીવ ઇતિહાસમાં એક ઐતિહાસિક પળ નોંધાઈ છે. સિંહોની ધરતી કહેવાતા ગુજરાત માટે એક નવી ખુશખબર સામે આવી છે.
દાહોદ જિલ્લાનું રતનમહાલ વન્યજીવ અભયારણ્ય કે જે મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલું છે. રતનમહાલના જંગલમાં છેલ્લા નવ માસ ઉપરાંતના સમયથી મધ્યપ્રદેશથી આવેલો ચાર વર્ષનો એક નર વાઘ, કાયમી ધોરણે સ્થાયી થયો હોવાનું વન વિભાગે પુષ્ટિ કરી છે.
જંગલમાં લગાવેલા કેમેરા ટ્રેપમાં આ વાઘ ૯ મહિનાથી વધુ સમયથી સતત કેદ થઈ રહ્યો છે, જે સૂચવે છે કે જંગલ તેને અનુકૂળ આવી ગયું છે.આ સાથે જ, ગુજરાત હવે સિંહ, દીપડો અને વાઘ એમ ત્રણેય મુખ્ય મોટી બિલાડીઓ (Major Big Cats) ની હાજરી ધરાવતું ભારતનું એકમાત્ર રાજ્ય બની ગયું છે.
આ વાઘને કોઈ પ્રોજેક્ટ હેઠળ અહીંયા લાવવામાં આવ્યો નથી. પરંતુ કુદરતી રીતેજ અહીંયા આવ્યો છે. વન વિભાગ આ વાઘની સુરક્ષા માટે સઘન મોનિટરિંગ અને ખોરાકની ઉપલબ્ધતા વધારવા માટેના પગલાં લઈ રહ્યું છે. આ સમાચાર વન્યજીવ પ્રેમીઓ માટે મોટી ખુશીની વાત છે.
દાહોદના રતનમહાલ અભયારણ્યમાં વાઘની હાજરી અંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ખુશી વ્યક્ત કરી છે. સાથે જ પ્રાણીઓના સંવર્ધન અને સુરક્ષા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાત સરકારના પ્રયાસોને પણ આવકારી વનમંત્રી અર્જુન મોઢવાડિયા ગુજરાતમાં વાઘોની વસ્તી વધે તે દિશામાં ચલાવાઈ રહેલા સંરક્ષણ પ્રયત્નો અંગે પણ માહિતી આપી છે.
